મોટાભાગે 50 60 વર્ષની ઉંમર સુધીમાં તો લોકો ત્રિફળા નો ઉપયોગ કરતા થઈ જાય છે. તો આ ત્રિફળા શું છે? તે કેવી રીતના લેવાય? તેનાથી શું ફાયદા થાય? કોને ત્રિફળા ન લેવાય? કેટલા પ્રમાણમાં લેવું જોઈએ? તે ઉપર મનન ચિંતન કરતાં આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
ત્રિફળા એટલે શું?
ત્રિફલા એટલે ત્રણ ફળોના પાવડર નું મિશ્રણ. ત્રિફલા ની અંદર આમલા, બહેડા તથા હરડ હોય છે. ત્રિફલા ની અંદર આ ત્રણે ત્રણ વસ્તુ સપ્રમાણમાં હોય. આજે આપણે તેના ગુણો વિશે જાણવા પ્રયત્ન કરીશું.
ત્રિફલા આપણા શરીર ઉપર કેવી રીતના અસર કરે?
ત્રિફલા ની અંદર આમલા તે તમારી કફ પ્રકૃતિનું શમન સહન કરે. બહેડા તે પિત્ત પ્રકૃતિનું શમન કરે અને હરડ તે વાત પ્રકૃતિનું શમન કરે.
ત્રિફલા લેવાથી શું ફાયદા થાય?
કોઈપણ આયુર્વેદિકની પ્રોડક્ટ ને સમજવી હોય તો તે પ્રોડક્ટ તમારા કફ પિત્ત અને વાત ઉપર કેવી રીતના અસર કરે છે, આ ઉપરાંત આપણી સપ્ત ધાતુ જેવી કે રસ, રક્ત, માંસ, અસ્થિ, મજ્જા,મેદ તથા શુક્ર ધાતુ પર કેવી રીતના અસર કરે છે તથા તે ગરમ પ્રકૃતિની છે કે ઠંડી પ્રકૃતિની છે તે લઘુ છે કે ગુરુ એટલે કે હલકી છે કે ભારે તે પાચન છે કે દીપન(ભૂખ વધારનાર) છે. તે સ્નિગ્ન છે કે રૂક્ષ છે.વગેરે ગુણો ઉપરથી નક્કી થાય.
ત્રિફલા ની અંદર આમલા જે તમારી કફ પ્રકૃતિનું શમન કરે. કફ પ્રકૃતિ એટલે શરદી ઉધરસ કફ થાય તેને જ કફ કહેવાય તેવું નહીં. કફ પ્રકૃતિ પૃથ્વી તથા જલ તત્વના મિશ્રણથી બનતી હોય છે. જે લોકોનું વજન વધારે છે તે વ્યક્તિને કફ પ્રકૃતિનો વ્યક્તિ કહેવાય. તેની અંદર પૃથ્વી તથા જલ તત્વ વધારે હોય. કફ પ્રકૃતિ વાળા વ્યક્તિને ડાયાબિટીસ તથા અન્ય રોગો થવાની સંભાવના વધારે હોય. તો આ આમલા તેનું વજન ઘટાડવા માટે કામમાં આવે તથા ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે. જે વ્યક્તિને કફ પ્રકૃતિ હોય તે વ્યક્તિએ ત્રિફલા મધ સાથે મિક્સ કરીને લેવુ જોઈએ. સવારે ભૂખ્યા પેટે લેવાથી વધારે ફાયદો થાય. ગરમ પાણીની અંદર મિક્સ કરીને પણ લઈ શકાય.
બહેડા તે પિત્ત પ્રકૃતિનું સમન કરે છે. જે વ્યક્તિને પિત્ત પ્રકૃતિ હોય તેને એસિડિટી તથા ચામડીના રોગ વધારે થાય. તો આ બહેડા તે તેની પિત્ત પ્રકૃતિનું સમન કરે. ચામડીના રોગોની અંદર પણ ત્રિફલા બહુ જ ઉપયોગી છે. પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિએ ત્રિફલા ને ઘી જોડે મિક્સ કરીને લેવુ જોઈએ.
હરડ તે વાત પ્રકૃતિવાળા વ્યક્તિના વાત ને મૂળભૂત સ્થિતિમાં લાવવાનું કામ કરે. તેનુ અનુલોમન કરે છે. જેને Mild laxative ની જરૂર હોય તેના માટે હરડ બહુ સારું. તે તમારી કબજિયાતને દૂર કરે. ગેસ તથા અપચો થતો અટકાવે. પરંતુ જેનું વજન બહુ જ ઓછું હોય જેનો ઝાડો એકદમ સૂકો હોય તથા વ્યક્તિ અત્યંત દુર્બળ હોય તો તે લોકોએ હરડનો ઉપયોગ બહુ ઓછો કરવો અથવા તો ન કરવો. કારણ કે હરડની પ્રકૃતિ રૂક્ષ છે. જે લોકોનું વજન વધારે હોય, બેઠાડું જીવન જીવતા હોય તે લોકોને કબજિયાતની તકલીફ વધારે હોય. તે લોકોએ હરડ અથવા તો ત્રિફળા લેવાથી ઘણો ફાયદો થાય.
આ ઉપરાંત ત્રિફલાએ આપણી આંખ માટે બહુ સારું છે. આંખની રોશની વધારે તથા આંખના રોગ ઘટાડે. ત્રિફલા ને પાણીની અંદર રાત્રે પલાળી ને સવારે તે પાણીને ગાળીને આઈ વોશ કપમાં તે પાણી લઈને આંખો પાણીની અંદર રાખીને ખોલ બંધ કરવાથી આંખોના રોગો દૂર થાય છે. આંખની અંદર ઠંડક થાય. આ ઉપરાંત પણ જે લોકોને આંખની તકલીફ છે તે લોકો માટે ત્રિફળા તથા મધ કે ઘી મિક્સ કરીને ખાઈ શકે. આંખ માટે ગુલાબજળ પણ સારું અને કલરિંગ ફ્રૂટ્સ બહુ સારા.
આ ઉપરાંત ત્રિફલા તે આંતરડા ઉપર ખૂબ જ સારું કામ કરે. તે તમારી ભૂખ વધારે, પેટને સાફ કરવામાં મદદ કરે.
આ ઉપરાંત ત્રિફલા ફેફસાની ને સાફ કરવાની અંદર મદદ કરે. જે વ્યક્તિને વારંવાર કફ થઈ જતો હોય શરદી થઈ જતી હોય તે લોકો ત્રિફલા તથા મધને મિક્સ કરીને લઈ શકે.
જે લોકોને પિત્ત પ્રકૃતિના કારણે ચામડીના પ્રોબ્લેમ છે જેને કુષ્ટ રોગ કહેવાય તે વ્યક્તિએ ત્રિફલા નું સેવન કરવું જોઈએ જે લોકોને કંઈ વાગ્યું હોય અને ધા ના રૂજાતો હોય તો તેના ઉપર પણ ત્રિફલા તથા હળદરને મિક્સ કરીને લગાવી શકાય.
આ ઉપરાંત ત્રિફલા તમારા લીવર માટે તથા spleen માટે પણ બહુ સારું. ત્રિફલા રક્તનું શુદ્ધિકરણ કરવા માટે પણ બહુ સારું. આમલાની અંદર વિટામીન સી હોય જે એન્ટિઓક્સિડન્ટ નું કામ કરે. નિયમિત ત્રિફળા નું સેવન કરવાથી બુઢાપો જલ્દી ના આવે. ચામડી સારી રહે.
ત્રિફળા વાળ માટે પણ બહુ સારું જે લોકોને જલ્દી વાળ સફેદ થઈ જતા હોય તે લોકો માટે ત્રિફલા બહુ સારું.
ત્રિફલા કેવી રીતના લઈ શકાય?
ત્રિફળા ને બે ગ્રામ થી વધારે લેવું ન જોઈએ.
ત્રિફળા ને અલગ અલગ વસ્તુ જોડે મિક્સ કરીને લઈ શકાય. જે લોકોની કફ પ્રકૃતિ છે જેને વજન ઘટાડવું છે તે લોકોએ ત્રિફળા તથા મધનો ઉપયોગ કરવો જોઈએ. જે લોકોને એન્ટિસેપ્ટિક તરીકે ત્રિફળા નો ઉપયોગ કરવો છે તો તેની અંદર હળદર મિક્સ કરી લઈ શકાય. એ લોકોને પિત્ત પ્રકૃતિના કારણે રોગ થતા હોય તેને ત્રિફળા તથા ગાયનું ઘી મિક્સ કરીને લઈ શકાય. આ ઉપરાંત ત્રિફલા ગરમ પાણીની અંદર મિક્સ કરીને પણ લેવાથી કબજિયાતની અંદર ફાયદો થાય.
ત્રિફળા કોને ન લેવું?
ત્રિફળા જે લોકોનું વજન એકદમ ઓછું હોય, અશક્ત વ્યક્તિ હોય, બહુ ભારે કામ કરતો હોય તેવા લોકોએ ઓછું લેવું અથવા ન લેવું. કારણ કે ત્રિફલા નો એક ગુણ છે રૂક્ષતા એટલે કે શરીરને સુકવી નાખવાનું કામ કરે. વાત પ્રકૃતિની અંદર ઓલરેડી શરીર તેનું સુકાતું હોય અને આપણે ત્રિફલા લઈએ તો પ્રોબ્લેમ થઈ શકે. કોઈપણ વ્યક્તિએ ત્રિફલા નો ઉપયોગ રોજ કરવો નહીં તકલીફ હોય તો જ કરવો. વધુને વધુ ત્રણ મહિના કરવો પછી વચ્ચે ગેપ પાડવી. કબજિયાત માટે ત્રિફળા નો ઉપયોગ કરો ત્યારે જરૂર પડે ત્યારે જ કરવો બાકી આંતરડાને પોતાની રીતે કામ કરવા દેવું. આપણે આંતરડાને કામ ના કરવા દઈએ અથવા વધારે પડતું કામ કરે તો આંતરડા નબળા પડે. જે લોકોને વજન વધારે છે ડાયાબિટીસ છે તે લોકો લાંબો ટાઈમ ત્રિફળાનો ઉપયોગ કરી શકે. જે લોકોને કબજિયાત રહેતી હોય તે લોકો રાત્રે એક યા બે ચમચી ગરમ પાણીમાં નાખીને પી શકે. પ્રેગ્નન્સીમાં ત્રિફલા બને ત્યાં સુધી ન લેવી કારણ કે તેની અંદર હરડ છે તે ગર્ભાશયનું સંકોચન કરે.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો,ખુશ રહો, નીરોગી રહો તેવી પ્રભુને પ્રાર્થના.
ત્રિફળાની સમગ્ર માહિતી માટે નીચેનો વિડીયો શાંતિથી સાંભળવા વિનંતી છે. વિડિયો રજુ કરનાર એમડી આયુર્વેદિક ડોક્ટર છે. તેમનો શુદ્ધ હેતુ આયુર્વેદિક દ્વારા લોકોને સ્વસ્થ કરવાનો છે.




Leave a comment